ભાવનગર SP નિતેશ પાંડે દ્વારા શહેરમાં વધતી ગુનાહિત પ્રવૃત્તિઓ, ખાસ કરીને પ્રોહિબિશન અને શરીર સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. આજે 23 માર્ચની સવારથી અચાનક અસામાજિક તત્વોના રહેણાંક મકાનોનું ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ, ભાવનગર શહેરના આડોડીયા વિસ્તારમાં આવેલા આરોપીઓના રહેણાંક મકાનોને તોડવાના શરૂ કરવામાં આવ્યા છે. આ કામગીરી માટે સિટી DYSP, LCB, ઘોઘારોડ, બોરતળાવ અને ગંગાજળિયા પોલીસ સહિત 200થી વધુ પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.
હાલમાં ચાર જેસીબી મશીનો દ્વારા ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં કોર્પોરેશન, પીજીવીસીએલ અને ફાયર વિભાગનો સ્ટાફ પણ જોડાયો છે. અચાનક હાથ ધરાયેલી આ કાર્યવાહીથી શહેરના અન્ય ગુનાહિત પ્રવૃત્તિમાં સંકળાયેલા શખસોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ ઘરો તૂટતા જોઈને મહિલાઓ રડતી જોવા મળી હતી. હાલમાં કેટલા આરોપીઓના ઘરોનું ડિમોલિશન કરવામાં આવશે તેની વિગતો તંત્ર દ્વારા જાહેર કરવામાં આવી નથી.